બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા છે. સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં મુંબઈ પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો. મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે તેના ઘરે પહોંચી ગઈ છે.
લીલાવતી હોસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાણી કહે છે કે સૈફ પર છ વખત છરી વડે હુમલો કર્યો હતો. બે ઘા ઊંડા છે. કરોડરજ્જુની નજીક એક ઘા થયો. તેની સારવાર ડૉ. નીતિન ડાંગે (સર્જન), ડૉ. લીના જૈન (કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન), ડૉ. નિશા ગાંધી (એનેસ્થેસિયા નિષ્ણાત), ડૉ. કવિતા શ્રીનિવાસ (ઇન્ટેન્સિવિસ્ટ) અને ડૉ. મનોજ દેશમુખ (કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ) દ્વારા કરવામાં આવી રહી છે.
હુમલા સમયે પોલીસે એ વિસ્તારનો ડમ્પ ડેટા મેળવ્યો હતો, જેનાથી પોલીસને એ સમયે એ વિસ્તારમાં કયા મોબાઇલ નેટવર્ક સક્રિય હતા એ જાણવામાં મદદ મળી. એના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનના ઘરે ચોરી અને હુમલો કરનારી વ્યક્તિ હિસ્ટ્રીશીટર હોઈ શકે છે. આ ઘટનાની મોડસ ઓપરેન્ડી જોતાં, હુમલાખોર સામે અગાઉ પણ આવા જ કેસો નોંધાયેલા હોઈ શકે છે. પોલીસનું માનવું છે કે આવી ઘટના ફક્ત એક ચાલાક અને જૂનો આરોપી જ અંજામ આપી શકે છે.