મુંબઈના ઘાટકોપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં એક હરિભક્ત દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ સગર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હરિભક્તે આપેલા નિવેદનમાં તેઓ બોલે છે કે, ‘મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનારા સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે’. વિવાદીત નિવેદનને લઈ આજે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોશીની ગેરહાજરીમાં અધિક કલેક્ટર એ.કે. ગૌતમને સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો હતો. ગંગામૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદા હોવાનું જણાવી હરિભક્ત સગર સમાજની માફી માગે તેવી માગ કરવામાં આવી છે.
હરિભક્તે આપેલા નિવેદનને લઈ કલેક્ટરને આવેદન આપ્યું રાજકોટના સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના ચેરમેન આણંદ કરથીયા સહિતના દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, પવિત્ર ગંગામૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદાની હજારો વર્ષની તપસ્યા બાદ લોક કલ્યાણ અર્થે લાવ્યા છે અને સમગ્ર લોક કલ્યાણ જાતિ માતા ગંગા મૈયાના શરણે આવી પવિત્ર બની રહ્યા છે એવી માન્યતા છે. ત્યારે આ વીડિયોમાં ગંગાજીને પવિત્રતા અપાવનાર પ્રબોધ સ્વામી સંતને બતાવે છે. જે તદ્દન ખોટી વાત છે અને બફાટ છે. કારણ કે ગંગાજીને પૃથ્વી ઉપર લાવી પવિત્રતા લાવનાર સગર વંશજ રાજા ભગીરથ છે. જેનો રામાયણ, મહાભારત અને રામચરિત માનસમાં ઉલ્લેખ છે.