બાળકોને શાળા માટે પરિવહનમાં વપરાશમાં લેવાતી બસ અને વાન-રીક્ષા વગેરેમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધી દ્વારા તા.9 ઓગસ્ટ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી-ખાનગી સ્કૂલો, કોલેજ, કોચિંગ ક્લાસના આચાર્ય-સંચાલક તેમજ સ્કૂલવાન, સ્કૂલ બસ, સ્કૂલ-રીક્ષા ચલાવતા માલિક-ડ્રાઇવરો માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડ્રાઇવરની માહિતી, અગ્નિશામક સાધનો, CCTV, સ્પીડ ગવર્નર, આપાતકાલીન દરવાજો સહીતની 9 ઓગસ્ટ સુધીમાં પૂર્તતા કરવા અધિક કલેક્ટરનો આદેશ કરવામાં આવ્યો છે.
નિર્દેશો અનુસાર બસના બાહ્ય ભાગમાં ડ્રાઇવરની માહિતી નામ, સરનામું, લાઇસન્સ નંબર, બેજ નંબર અને શાળાનો કે બસ માલિકનો ટેલિફોન હેલ્પલાઇન નંબર, રજિસ્ટ્રેશન નંબર, વાહનની અંદર-બહારની તરફ કોન્ટ્રાસ્ટ રંગમાં મુસાફર અને જનતાને સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે લખવાના રહેશે. ઉપરાંત બસની બારીઓ પર આડી પટ્ટીઓ અને જાળી, દરવાજા પર વિશ્વસનીય લોક તેમજ બસમાં આપાતકાલીન સમયે બહાર જવા માટેનો દરવાજો રાખવાનો રહેશે. આ અંગે શાળા પ્રશાસનએ જવાબદારી સુનિશ્ચિત કરવાની રહેશે. સ્કુલ બસમાં સ્પીડ ગવર્નર લગાવવું ફરજિયાત રહેશે. દરેક સ્કૂલ બસમાં એબીસી પ્રકારના 5 કિલોની ક્ષમતાવાળા અને ISI પ્રમાણિત કરાયેલા બે અગ્નિશામક જેમાંથી એક ડ્રાઇવર કેબીન અને બીજું આપાતકાલીન દ્વાર પાસે રાખવાનું રહેશે. તેના વપરાશ અંગે ડ્રાઇવર,કંડકટર,એટેન્ડન્ટને તાલીમ આપવાની રહેશે.