વાસ્મોના આઉટ સોર્સના આસિ. એકાઉન્ટન્ટ તિમિર પટેલે પંજાબ નેશનલ બેંકના વાસ્મોના ખાતામાંથી ચેક અને આરટીજીએસ મારફત પોતાના ખાતામાં પૈસા બારોબાર જમા કરાવી જે કૌભાંડ આચર્યું છે તેમાં ભાસ્કરે વિશેષ તપાસ કરી છે.
આ તપાસમાં બહાર આવ્યું છે કે તિમિર ઉપરાંત પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ તેમજ જેણે ફરિયાદ કરી છે તે યુનિટ મેનેજર અજય ચૌધરી અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર કેયુર નાયકની પણ ભૂમિકા છે.
તિમિર પટેલના ખાતામાં 56 એન્ટ્રીથી પૈસા જમા થયા છે. આ 56માં 46 ચેક છે જ્યારે બીજા આરટીજીએસ છે. પણ આરટીજીએસ કરાયા છે તેમાં સ્લીપમાં ક્યાંય તિમિરનું નામ નથી પણ તેને બદલે પાણી સમિતિ પાળિયાદ સહિતની 14 થી 15 ગામની પાણી સમિતિના નામ લખ્યા છે પણ બધામાં એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ તો તિમિર પટેલના એચડીએફસી બેંકના ખાતાના છે !
આરટીજીએસ ફોર્મમાં નામ અલગ અને એકાઉન્ટ અલગ તો પણ પંજાબ નેશનલ બેંકના અધિકારીએ એક બે નહીં પણ 10 વખત ફંડ ટ્રાન્સફર કરી દીધા હતા. જે સાબિત કરે છે કે તિમિરે આ કૌભાંડ માટે પંજાબ નેશનલ બેંકના અધિકારીની પણ મદદ લીધી છે. તેના વગર નામ અલગ અને ખાતા નંબર અલગ હોય તો કદી પણ ફંડ ટ્રાન્સફર થાય નહિ.આરટીજીએસ 10 વખત થયા પણ ચેકથી 46 વ્યવહાર થયા છે.