રાજકોટ મનપા કચેરીએ આજરોજ (20 જાન્યુઆરી) કોઈપણ જાહેરાત વિના આરટીઓની ટીમ આવી પહોંચી હતી અને હેલ્મેટ નહીં પહેરનારા પાસેથી દંડની વસુલાત કરી હતી. અચાનક શરૂ કરવામાં આવેલા ચેકિંગનાં કારણે અનેક અરજદારોની સાથે કર્મચારીઓ પણ દંડાયા હતા. લોકોએ હેલ્મેટ ન પહેરવાનાં અલગ-અલગ કારણો દર્શાવ્યા હતા. જોકે, કચેરીની અંદર હેલ્મેટનાં ચેકિંગને લઈને અંદરખાને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પણ કેમેરા સામે હેલ્મેટ પહેરવું જરૂરી હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, આજે સવારે 11થી 12 દરમિયાન મનપા કચેરીએ આરટીઓની ટીમ આવી પહોંચી હતી અને કચેરીના ગેટમાંથી પ્રવેશતા લોકોને રોકી હેલ્મેટ ન પહેરાના પાસેથી દંડની વસુલાત કરી હતી. આ દરમિયાન કોઈએ હેલ્મેટ ભૂલાઈ ગયું હોવાનું અને કોઈએ માથું દુઃખતું હોવાને કારણે આજે જ હેલ્મેટ ન પહેર્યું હોવાનું કારણ આપ્યું હતું.
આ તકે હેલ્મેટ વિના આવેલા જેન્તીલાલ ગીનોયાએ જણાવ્યું હતું કે, હું મનપા કચેરી અંદર આવ્યો એટલે ઊભો રાખ્યો હતો. હું 35 વર્ષથી હેલ્મેટ પહેરુ છું, પણ આજે માથામાં દુખાવો થતો હોવાથી હેલ્મેટ પહેર્યું નથી. કાયમી ધોરણે હેલ્મેટ પહેરુ જ છું. હેલ્મેટ પહેરવું જરૂરી છે અને લોકોને પણ હું રેગ્યુલર હેલ્મેટ પહેરવાની સલાહ આપું છું. કારણ કે, હેલ્મેટ પહેરવાથી શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પણ રાહત મળે છે. તેમજ અકસ્માત સમયે પણ મોટી ઇજાથી બચી શકાય છે.