વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. જૂની સંસદ (બંધારણ ગૃહ)ના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યે શરૂ થયેલી બેઠકમાં 13 NDA પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. વડાપ્રધાને કહ્યું- મને નવી જવાબદારી આપવા બદલ આભાર. મારું એક જ ધ્યેય છે- ભારત માતા અને દેશનો વિકાસ. આ સાથે જ બેઠક પૂરી થયા પછી NDAના નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. મોદી 9 જૂને સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. સમાચાર છે કે મોદીની સાથે સમગ્ર કેબિનેટ શપથ લઈ શકે છે.
અગાઉ, બેઠકમાં NDAના તમામ 293 સાંસદો, રાજ્યસભાના સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. અમિત શાહે તેને ટેકો આપ્યો અને નીતિન ગડકરીએ મંજૂરી આપી. જેડીએસ પ્રમુખ કુમારસ્વામીએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
આ પછી, NDAના મહત્વપૂર્ણ ઘટક TDP ચીફ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું- અમે બધાને અભિનંદન આપીએ છીએ. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું છે કે PMએ ક્યારેય 3 મહિના સુધી આરામ કર્યો નથી. તેમણે એ જ ભાવનાથી શરૂઆત કરી અને એ જ ભાવના સાથે અંત પણ કર્યો. આંધ્રમાં અમે 3 જાહેર સભાઓ અને 1 મોટી રેલી કરી અને તેનાથી ચૂંટણી જીતવામાં ઘણો ફરક પડ્યો.