રાજકોટ મહાનગરપાલિકાએ ટેક્નિકલ કારણોસર ચાર વર્ષમાં 76 કાપ ઝીંક્યા!

રાજકોટ શહેરમાં પાણીકાપ મોટી સમસ્યા છે. વર્ષની સરેરાશ કાઢીએ તો દર મહિને એકાદ વિસ્તાર પાણી વિહોણો રહે છે. આ પાછળ મનપા ટેક્નિકલ કારણ હોવાનું બહાનું ધરી દે છે. આવા જ ટેક્નિકલ કારણોસર ચાર જ વર્ષમાં અધધ 76 પાણીકાપ ઝીંકી દેવાયા છે. નાના મોટા ભંગાણ અને રિપેરિંગથી એકાદ બે વિસ્તાર પાણી વિહોણા રહ્યા હોય અથવા તો ચારથી પાંચ કલાક પાણી વિતરણ મોડું થયું હોય તેનો તો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

રાજકોટ શહેરમાં ચાર વર્ષમાં જે 76 કાપ ઝીંકાયા છે તેમાં સૌથી વધુ કાપ વર્ષ 2021-22માં આવ્યા હતા ત્યારબાદથી કાપ ઘટ્યા હતા. જોકે આ ચારેય વર્ષમાં સેન્ટ્રલ ઝોન વિસ્તાર સૌથી વધુ પાણી વિહોણો રહ્યો છે. રાજકોટ શહેરને નર્મદામાંથી બે લાઈન મારફત દરરોજ પાણી અપાય છે. આ પાણી પૂરું પાડવાની જવાબદારી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની છે. દરરોજ પાણી અપાતું હોય ત્યારે ક્યારેક સમારકામની જરૂર પડે ત્યારે તુરંત પાણી બંધ કરી દેવાય છે. મનપા પાસે બીજો કોઇ વિકલ્પ જ હોતો નથી એટલે એ પાણી બંધ થાય એટલે ગાંધીગ્રામ, 150 ફૂટ રિંગ રોડ, સોજીત્રાનગર સહિતના વિસ્તારો તરસ્યા રહે છે. બીજું સૌથી મોટું કારણ ભાદરથી રાજકોટની લાઈન છે. આ લાઈન 33 વર્ષ જૂની હોવાથી વારંવાર ભંગાણ થાય છે અને તેના રિપેરિંગ વખતે ઢેબર રોડ, ગોંડલ રોડ પરના વોર્ડ નં. 7, 13, 14, 17ના અડધા વિસ્તારો પાણીવિહોણા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *