રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આ વખતે સતત બીજા વર્ષે ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે રાઇડસ ધારકો માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સહિતની બાબતો ફરજિયાત બનાવવામાં આવતા બબાલ થઈ હતી ત્યારે આ વર્ષે હાલ રેસકોર્સ મેદાનમાં જે લોકમેળો યોજાઈ રહ્યો છે તે વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ છેલ્લા એક વર્ષથી આ મેળાનું સ્થળ બદલીને સ્માર્ટ સીટી ગણાતા અટલ સરોવર પાસે યોજવા માટેની માંગણી કરી રહ્યા છે. તેની સામે રાજકોટ શહેરના સમાજ અને નગર શ્રેષ્ઠી પરષોત્તમ પીપળીયા પડ્યા છે. તેમને લોકમેળાનું સ્થળ બદલવા સામે વિરોધ કર્યો છે અને આ મેળો રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં જ યોજવા માટે માંગણી કરી છે.
રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઇને ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં દર વર્ષે યોજાતા લોકમેળામાં લાખો લોકોની ભીડ ઉમટી પડે છે અને આ દરમિયાન મેળો પણ યોગ્ય રીતે યોજાઇ શકાતો નથી આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેને લઈને વિસ્તારવાસીઓની પણ વર્ષોથી ફરિયાદ છે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની સંકલન સમિતિમાં છેલ્લા એક વર્ષથી રજૂઆત કરી રહી છું કે લોકમેળાનું સ્થળ રેસકોર્સ મેદાનથી બદલીને અટલ સરોવર પાસે કરવામાં આવે.