રાજકોટ ચિકનગુનિયાના સપ્તાહમાં જ 8 નવા દર્દી, ડેન્ગ્યુના 9

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. બે સપ્તાહ પહેલા ચિકનગુનિયાના આંકમાં અસામાન્ય વધારો દેખાયો હતો જે બાદમાં હળવો પડ્યો પણ ફરી આ રોગના દર્દીઓમાં વધારો નોંધાયો છે. જેથી એ સાબિત થાય છે કે મનપા ચોપડે રોગચાળો કાબૂમાં રાખવા ઘણી કામગીરી કરે છે પણ હકીકતે શહેરમાં રોગચાળો ખૂબ વકરી ચૂક્યો છે.

મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર તા.23થી 29 સુધીમાં જ ડેન્ગ્યુના 9 જ્યારે ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક કેસ મલેરિયાનો પણ જોવા મળ્યો છે. આ તો ફક્ત એલાઈઝા ટેસ્ટ મારફત નોંધાયેલા કેસ છે. શહેરની અનેક ક્લિનિક અને જનરલ પ્રેક્ટિશનર રેપિડ કાર્ડ ટેસ્ટ મારફત રોગનું નિદાન કરીને સારવાર કરી રહ્યા છે.

આવા કોઇ કેસ આવે એટલે જે તે વિસ્તારમાંથી મનપાને જાણ કરાય છે. તંત્ર ત્યાં કામગીરી કરવા જાય છે પણ ક્યાંય નોંધ કરાતી નથી જેથી ખરેખર શહેરમાં રોગચાળો કેટલો ફેલાયો છે તે હકીકત લોકો સુધી પહોંચી શકતી નથી.

મચ્છરજન્ય રોગ ઉપરાંત રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુને કારણે શરદી-ઉધરસના કેસ પણ વધ્યા છે. માત્ર આરોગ્ય કેન્દ્રોમાં જ એક સપ્તાહમાં 822 કેસ નોંધાયા છે. આ સિવાય સામાન્ય તાવના 54 તેમજ ઝાડા-ઊલટીના 180 કેસ છે તે રીતે જોતા સમગ્ર શહેરમાં અનેકગણા વાઇરલ શરદી-ઉધરસના કેસ છે તેવો અંદાજ લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *