રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળામાં સ્ટોલના ભાડામાં 30થી 40 ટકાનો તોતિંગ વધારો થતા રમકડાં અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં ભારે નારાજગી પ્રસરી ગઇ છે અને જો ભાડામાં ઘટાડો નહીં થાય તો અમે લોકમેળાનો બહિષ્કાર કરીશુંની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, દરેક સ્ટોલમાં સીસીટીવી ફરજિયાત લગાવવાનું કહેવાયું છે, પરંતુ તે અમારાથી શક્ય નથી. દરેક સ્ટોલધારક અલગ-અલગ હોય છે તેથી આ કામગીરી તંત્રે કરવી જોઇએ. મેળામાં ખુલ્લી જગ્યા વધુ મળી રહે તે માટે સ્ટોલ અને પ્લોટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ જો અહીં બેસતા પાથરણાવાળાને બેસવા ન દેવામાં આવે તો આપોઆપ ઘણી જગ્યા ખાલી પડે તેમ છે. તેથી સ્ટોલના ભાડામાં ઘટાડો કરવાની માગણી કરી છે. જિલ્લા કલેક્ટર ઉપરાંત પ્રાંત અધિકારી ચાંદની પરમારને પણ રૂબરૂ મળી વેપારીઓએ રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારીએ આ મુદ્દે કલેક્ટરનેરજૂઆત કરવાની ખાતરી આપી હતી.