રાજકોટ જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ખાલી પડેલી 43 જેટલી જગ્યા માટે 3થી 21 જાન્યુઆરી દરમિયાન ઈન્ટરવ્યૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ આ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે જે-તે જિલ્લાના DEOને પત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી અને નિષ્ણાતની હાજરીમાં ઈન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું. ઈન્ટરવ્યૂ પૂર્ણ થયા બાદ નિમણૂક હુકમો આપવાની કાર્યવાહી કરાશે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શુક્રવારથી જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ખાલી 43 જગ્યા પર ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે 21મી જાન્યુઆરી સુધી ચાલશે અને ત્યારબાદ શિક્ષણ વિભાગના નિયમ મુજબ પસંદગી પામનાર વ્યક્તિને આચાર્ય તરીકેની નિમણૂક અપાશે. જાહેરનામાની જોગવાઈઓ અનુસાર આચાર્ય ભરતીમાં ઈન્ટરવ્યૂ, ઉમેદવારની પસંદગી અને નિમણૂકની કાર્યવાહી જિલ્લાકક્ષાની શાળા પસંદગી સમિતિ દ્વારા કરવાની હોય છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સમિતિમાં કાર્યરત રહી શાળા પસંદગી સમિતિના ઈન્ટરવ્યૂનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. જિલ્લાકક્ષાના બધા ઈન્ટરવ્યૂ એક જ સ્થળે રાખવાનું આયોજન કરાયું છે.