ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે સરકારી કચેરીઓની વિવિધ જગ્યાઓમાં પાણી ભરાતા રોગચાળો ફેલાવવાની શક્યતા નિવારવા કચેરીઓમાં સાફ-સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરીમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાં કચેરીના પ્રાંગણમાં ઝાડના ખરેલા સૂકા પાંદડાનો કચરો, ગેરેજ અને પાર્કિંગ એરિયામાં જામેલા ઝાડી ઝાંખરા તેમજ કચેરી અંદરના અને કચેરીના બહારના વિસ્તારોની સાફ-સફાઈ કરાઈ હતી. જેથી વરસાદ દરમિયાન થતા મચ્છરો, જીવજંતુઓથી અને વરસાદમાં કચેરીમાં એકઠો થયેલો કચરામાંથી ભેજની દુર્ગંધથી બચી શકાય. વરસાદ દરમિયાન કચેરી સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સહાયક માહિતી નિયામક સોનલબેન જોશીપુરા અને અધિક્ષક રજાકભાઈ ડેલાની દેખરેખમાં સફાઈ કરી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.