રાજકોટનાં હાઈપ્રોફાઇલ એટલાન્ટિસ અગ્નિકાંડને એક મહિનો થવા છતાં જવાબદારો સામે કોઈ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. ગત તારીખ 14 માર્ચે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થવા છતાં ફરિયાદ નહીં નોંધાઇ નથી. ત્યારે આજે સમગ્ર મામલે ACPએ જણાવ્યું કે, આવા આરોપોમાં કોઈ તથ્ય નથી અને FSL રિપોર્ટ આવ્યા બાદ આ અંગે ગુનો નોંધવામાં આવશે. આ તકે એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં બિલ્ડરનું નામ પણ પોલીસને યાદ નહીં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા પોલીસ આ મામલે વગદાર બિલ્ડરોના ઘૂંટણિયે પડી ગઈ હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે. બિલ્ડિંગમાં પ્રદેશ ભાજપના કોઈ નેતા ભાગીદાર હોવાનો આક્ષેપ પણ અગાઉ કોંગ્રેસ લગાવી ચૂક્યું છે.
FSL રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધશે- ACP બી.જે.ચૌધરી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ મામલે આજરોજ ACP બી.જે.ચૌધરીએ મીડિયા સમક્ષ ગોળગોળ જવાબો આપ્યા હતા અને જણાવ્યું હતું કે, FSLનો પૃથ્થકરણ રિપોર્ટ આવવાનો બાકી છે. બિલ્ડરે આ બિલ્ડીંગ ત્યાંના રહેવાસીઓને સોંપી દીધું હતું. સ્થાનિક રહેવાસીઓએ એસોસિએશન રજિસ્ટર કરાવેલું ન હોવાથી કોઈની જવાબદારી ફિક્સ થતી નથી. એસોસિએશનમાં માત્ર સંચાલન જ કરતા કોઈ ઠરાવ ઓન પેપર નથી. એટલું જ નહીં ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હોવાનું અને દર વર્ષે ચેક કરવામાં આવતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે RMCના ફાયર વિભાગે અગાઉ ફાયરનાં સાધનો બંધ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. ત્યારે હાઇ પ્રોફાઈલ સોસાયટી હોવાને કારણે પોલીસની એક્શન લેવામાં ઢીલાશ હોવાનું જણાઇ રહ્યું છે.