રાજકોટ શહેરમાં વડાપ્રધાન મોદીના હસ્તે કરોડોનાં ખર્ચે બનેલી ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે વારંવાર આ હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં આવતી હોય છે. ત્યારે હવે PM મોદીનાં હસ્તે લોકાર્પિત આ હોસ્પિટલમાં દર્દીઓનાં પરિવારજનો પાસે ઉઘરાણા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં જમવાના પૈસા ન હોય તેવી ગરીબ પ્રસુતાઓ કે તેમના પરિવારની પાસેથી સર્વન્ટ્સ દ્વારા પરાણે રૂ. 100-200 રૂપિયા લઈ માનવતા નેવે મુકવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
ઉઘરાણાનો વીડિયો, સિવિલ તંત્ર સામે સવાલો આ ઉઘરાણાનો વીડિયો પણ સામે આવતા સિવિલ તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોકે આરએમઓ ડોક્ટર હર્ષદ દૂસરાએ હાલમાં જ આ બાબત સામે આવી હોય આ મામલે સિવિલ અધિક્ષક દ્વારા તપાસ કરી જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી છે.
મહિલા પાસેથી પરાણે રૂ.100 લીધા ઝનાના હોસ્પિટલમાં થતા ઉઘરાણાનાં વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક શ્રમિક પરિવારના મહિલા તેમની પાસેથી પરાણે રૂ.100 લીધા હોવાનું જણાવી રહ્યા છે. અગાઉ પણ સિવિલમાં લિફ્ટ પાસે ઉઘરાણા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પણ આ ગંભીર બનાવમાં કોન્ટ્રાકટ એજન્સી દ્વારા માત્ર મેમો આપીને નામની જ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને ફરીથી ઉઘરાણા શરૂ કરી દેવામાં આવ્યા છે.
કેટલાક સર્વન્ટ દ્વારા પ્રસુતિ વિભાગમાં ઉઘરાણાં થાય છે કે શું? ઝનાના હોસ્પિટલમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ પરિવારની મહિલાઓ પ્રસુતિ માટે દાખલ થતી હોય છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સગર્ભાઓની સંખ્યા વધુ જોવા મળે છે. સારવારમાં રહેલી સગર્ભાની ડિલિવરી થાય ત્યારે લેબર રૂમથી વોર્ડમાં સ્ટેચરમાં લઈ જતી કેટલીક સર્વન્ટ માસીઓ સાથે રહેલા સ્વજન પાસે ઉઘરાણા કરે છે. દિકરા-દીકરીનો જન્મ થયો તો પૈસા તો આપવા પડે કહીને પરાણે રૂ.100થી 500 સુધીની રકમ લઈ લેવામાં આવી રહી છે.