રાજકોટના પોપટપરા વિસ્તારમાં રઘુનંદન સોસાયટીમાં રહેતી પરીણિતાને તેનો પતિ પુરૂષ બકાલુ વેંચે ત્યાં ખરીદી કરવા નહીં જવાનું કહી વારંવાર કોઈને કોઈ બાબતે શંકા કરી બેફામ માર મારતો હતો, જયારે સાસુ પણ પુત્રવધુ તરીકે સ્વીકાર નહીં કરી ત્રાસ આપતા હતા. ફક્ત એટલું જ નહીં પતિએ બીજા લગ્ન કરી લેતાં હવે કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોપટપરા રઘુનંદન સોસાયટી શેરી નં-5 માં રહેતાં નફીસાબેન ઉર્ફ ખુશી સલીમભાઇ માણેક (ઉ.વ.28) એ તેમના પતિ સલીમ કામસ માણેક વિરૂદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ હાલ તે તેના પિતાના ઘરે રહી ધરકામ કરે છે. તેમને સલીમ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી, અમરેલીમાં તા.27.2.2017ના લગ્ન કરેલ હતા. બાદમાં બંને રેલનગર શ્યામ કૃષ્ણવર્મા ટાઉનશીપમાં રહેતા હતા. તેમના પતિ સલીમ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરતા હતા. તેણીના સસરા કાસમભાઇનું અવસાન થયેલ છે. સાસુ ફાતીમાબેન ધરકામ કરે છે.
લગ્નના થોડાં સમય બાદ તેમના પતિ ખોટી શંકાઓ કરતા હતા અને પુરૂષ બકાલુ વહેંચતા હોય ત્યાં બકાલુ નહી લેવાનું અને ધરની બહાર એકલુ નહી નીકળવાનું અને તેમના સાસુના ધરે કોઇ પ્રંસગ હોય તો ત્યા પ્રસંગમાં લઇ જતા ન હતા. તેણી જવાની જીદ્દ કરે તો ઝઘડો કરી ગાળો આપી માર મારતા હતા તેમજ ધરખર્ચના રૂપિયા પણ આપતા ન હતાં અને અઢી મહિના પહેલા કચ્છમાં હાજીપીરના ઉર્ષમાં પરીવાર સાથે જવાનું હતું. જેથી, તેણીએ પતિને કહેલ કે, મારે પણ આવવુ છે તેમ કહેતા ચોખ્ખી ના પાડેલ કે, તારે આવવુ નથી. જેથી, તેણીએ જીદ્દ કરતા ગાળો આપી માર મારેલ હતો. તેણીએ કંટાળી છેલ્લા અઢી મહિનાથી પિતાના ધરે રીસામણે આવેલ છે.