પરેશ રાવલે પ્રિયદર્શનની માફી માંગી, ડિરેક્ટરે કહ્યું- ‘ત્રિપુટી વિના ફિલ્મ અધૂરી’

પરેશ રાવલની ‘હેરાફેરી 3’માં ફરી એન્ટ્રી થઈ ચૂકી છે. એક્ટરે પોતે પુષ્ટિ કરી છે કે તે હવે આ ફિલ્મનો ભાગ હશે. તેવામાં ડિરેક્ટર પ્રિયદર્શને કહ્યું છે કે, ફિલ્મ છોડવાના નિર્ણય બદલ પરેશ રાવલે તેમની માફી માંગી છે.

ડિરેક્ટર પ્રિયદર્શને મિડ-ડે (અખબાર)ને જણાવ્યું કે, પરેશ રાવલ ફરીથી ટીમમાં જોડાઈ રહ્યા છે, તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, ‘અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે તેમના બધા મતભેદો ઉકેલી લીધા છે અને હવે ત્રણેય ફરીથી સાથે કામ કરવા માટે તૈયાર છે.’

પ્રિયદર્શન કહે છે કે, ‘આ ત્રિપુટીએ લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે અને તેમના વિના ‘હેરાફેરી’ની કલ્પના કરવી મુશ્કેલ છે. જોકે, હવે બધા કલાકારો સાથે કામ કરવા માટે તૈયાર છે. ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે.’

પ્રિયદર્શને આગળ કહ્યું કે, ‘પરેશ રાવલે ફિલ્મ છોડવા બદલ મારી પાસે માફી માંગી.’ તેમણે કહ્યું, ‘અક્ષય અને પરેશે મને ફોન કરીને કહ્યું, કે હવે બધું બરાબર છે. જ્યારે પરેશે કહ્યું, ‘સાહેબ, હું આ ફિલ્મ કરી રહ્યો છું’ ત્યારે મને આશ્ચર્ય થયું. પછી તેમણે કહ્યું કે, મને હંમેશા તમારા માટે આદર રહ્યો છે. મેં તમારી સાથે 26 ફિલ્મો કરી છે અને મને આ ફિલ્મ છોડવાનો અફસોસ છે. તે સમયે કેટલાક અંગત કારણો હતા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *