રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ચોટીલા પાસે હીરાસર એરપોર્ટ ખાતે નવનિર્મિત એટીસી (એર ટ્રાફીક કંટ્રોલ) ટાવરમાંથી ફલાઈટ ઓપરેશન માટે ટ્રાયલ કરવામાં આવી હતી. 3 દિવસ સુધી નવા અને જૂના ટાવર બંનેમાંથી ટ્રાયલ કરવામાં આવી હતી, જેને સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલના બિલ્ડીંગના ઉદ્ઘાટનમાં વિલંબ થઈ રહ્યો છે. જેમાં તારીખ પે તારીખ મળી રહી છે. જ્યારે નવો એટીસી ટાવર તૈયાર થઈ જતા હવે ટૂંક સમયમાં નવા સાધનોનું ઇન્સ્ટોલેશન પણ થઈ જશે અને તે બાદ નવા ATC ટાવર બિલ્ડીંગ પરથી ફલાઈટનું ઓપરેશન થવા લાગશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ દિલ્હી-મુંબઈ સહિતની 12 જેટલી ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે હાલના સમયમાં નવા બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે પરંતુ, પહેલા ફેબ્રુઆરી અને ત્યારબાદ 31 માર્ચ સુધીમાં બિલ્ડીંગ બનીને તૈયાર થઈ જશે એવી ખાતરી આપવામાં આવી હતી. જોકે, હજુ સુધી આ બિલ્ડીંગમાં ઘણું બધું કામ બાકી હોવાથી નજીકના સમયમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય એવી કોઈ શકયતા દેખાતી નથી. આ દરમિયાન એરપોર્ટ ખાતે નવો ટેક્નિકલ બ્લોક બનાવવામાં આવ્યો છે જ્યાં એરપોર્ટ ડાયરેક્ટરની કચેરીથી લઈ ATC ટાવર એક જ બિલ્ડિંગમાં તૈયાર થયો છે આ બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે.