નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા વિસ્તારનાં ગામોમાં ગેરકાયદે ખેડાણને લઈને વન વિભાગના બિટગાર્ડને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘરે બોલાવીને ધમકાવીને મારા માર્યો હતો, જેથી બિટગાર્ડ દ્વારા દેડિયાપાડા પોલીસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ અંગે ચૈતર વસાવાએ આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી. જેના પર આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, કયા અધિકારો હેઠળ ધારાસભ્યએ વનકર્મીને બોલાવ્યા હતા.
વનકર્મીને મારવાના કેસમાં ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી નથી. સરકારી વકીલે પણ કોર્ટમાં ચૈતર વસાવાનો વિરોધ કર્યો હતો. કોર્ટે ચૈતર વસાવાને કહ્યું હતું કે, કયા અધિકારો હેઠળ તમે વનકર્મને બોલાવ્યા હતા.
3 નવેમ્બરે ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર થઈ ગયાં છે. તેમના પત્ની શકુંતલા સહિતના 3 આરોપી જેલમાં છે. છેલ્લા ત્રણ સપ્તાહ ઉપરાંતથી ચાલી રહેલાં વિવાદમાં હવે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવાની એન્ટ્રી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તો જીતી જાય તેમ હોવાથી ભાજપ સરકારે ખોટી રીતે કેસ કર્યો છે. વનકર્મીઓને માર મારવાની આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે. વન કર્મચારીઓએ ખોટી રીતે ગરીબ ખેડૂતનો પાક કાપી નાંખ્યો હતો. તેની સમજાવટ દરમિયાન બનેલી ઘટનાને અલગ સ્વરૂપ આપી પોલીસે કેસ કરી દીધો છે.