રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્ક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે, જોકે આજે બુધવારની રજા હોઈ, કામદારોની સંખ્યા દરરોજ કરતાં ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે. પ્રોડક્શન યુનિટમાં પૂંઠા-તેલ, વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી હોવાની શક્યતા છે.
આ ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતાં રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટેન્કરોને પણ દોડાવવાની ફરજ પડી છે. આગની દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.