કોઠારિયા રોડ પર વિનોદનગરમાં રહેતા અવનીબેન જીતેનભાઇ જાની (ઉ.40) એ પોતાના ઘેર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ મકવાણા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમા અવનીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને એડવોકેટ હોવાનું પરિવારે જણાવતા પોલીસે મહિલાના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય બનાવમાં લક્ષ્મીનગર મેઇન રોડ પર ત્રિવેણી એપાર્ટમેન્ટમાં રહેતા ગણપતભાઇ કાનજીભાઇ મારૂડિયા (ઉ.59) એ પોતાના ઘેર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પેાલીસ મથકના એએસઆઇ કેતનભાઇ શેખલિયા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક વૃદ્ધ નિવૃત્ત જીવન જીવતા હતા અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં વૃદ્ધ ગણપતભાઇને કેટલાક સમયથી પેરેલેસિસ,ડાયાબિટીસ સહિતની બીમારીઓ હોય અને સારવાર ચાલુ હોવા છતા સારું ન થતા બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
નવી કોર્ટ બિલ્ડિંગ પાસે યુવક પર પૂર્વ પ્રેમિકાના મંગેતરનો હુમલો સહજાનંદ વાટિકામાં રહેતો અને ફરસાણનું કામ કરતો જયદીપ જશાભાઇ વાઘેલા (ઉ.31) નવી કોર્ટ પાસે હતો ત્યારે પવન દેવશીભાઇ મકવાણા અને એક અજાણ્યા શખ્સે ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો છે. પોલીસને જયદીપે જણાવ્યું હતું કે તેને અગાઉ એક યુવતી સાથે પ્રેમસંબધ હોય અને છ માસ પૂર્વે યુવતીએ ફોન કરી મારું સગપણ પવન નામના યુવક સાથે નક્કી થઇ ગયું છે, જેથી રાજીખુશીથી સંબધ પૂરા કરી દીધા હતા. બાદમાં ખરેખર નક્કી થયું છે તે જાણવા માટે પવનના નંબર યુવતી પાસેથી લઇને ફોન કરી યુવતી સાથેના સંબધ અંગે વાત કરી હતી. બાદમાં પવને ફોન કરી નવી કોર્ટ પાસે મળવા બોલાવતા તે તેના મિત્ર સાથે મળવા ગયો હોય પવન અને તેના મિત્રએ ઝઘડો કરી ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો.