જસદણના સ્મશાન રોડ નજીક ભાદર નદીના કાંઠે એક અજાણ્યા વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી. જાની ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.પોલીસ સૂત્રો અનુસાર, મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. પ્રાથમિક તપાસમાં આ મૃત્યુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જો કે આકસ્મિક મૃત્યુની શક્યતાને પણ નકારવામાં આવી નથી. પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં લોકોની પૂછપરછ હાથ ધરી છે. મૃતદેહ એટલો બધો ક્ષતવિક્ષત બની ગયો હતો કે જસદણ પાલિકાના ટ્રેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવાની તૈયારી કરવામાં આવી હતી. લાશ મળી આવવાની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે.