ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની વિધિવત શરૂઆત બાદ રાજકોટમાં નાનામવા ખાતે આવેલા જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ તા. 22મી જૂને ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 108 કળશધારી બાળાઓ વાજતે ગાજતે નાનામવા ગામના કુવે પાણી ભવા જશે જે પાણી અને કેસર ચંદનથી મંદિરના પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરવામાં આવશે.
આ જળયાત્રામાં બાળાઓ બહેનો અને સાધુસંતો અને ભક્તજનો જોડાશે. દૂધ કેસર અને 108 ઘડા જળથી સ્નાન કરાવ્યા બાદ નીજ મંદિરમાં પરત લાવવામાં આવે છે. આ વર્ષે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના હસ્તે અભિષેક વિધિ કરાશે. ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. આ ઉપરાંત ભગવાનની રથયાત્રાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવમાં જોડાવવા મહંત મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીએ જણાવ્યું છે.