રાજકોટની રવિવારીના 500 પાથરણાંવાળાને લેન્ડ ગ્રેબિંગની નોટિસ

રાજકોટના આજીડેમ ખાતે 40 વર્ષ જૂની રવિવારી બજારમાં પાથરણાં પાથરી પેટિયું રળતા નાના અને ગરીબ વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા લેન્ડ-ગ્રેબિંગની નોટિસ મળી છે. એને પગલે આજે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અધિકારીઓ અને બિલ્ડરો સાથે સાઠગાંઠથી સેંકડો ગેરકાયદે બિલ્ડિંગો ઊભાં કર્યાં છે, જેની સામે કાર્યવાહી કરવાને બદલે આજીડેમ ખાતે રવિવારી બજારમાં પેટિયું રળતા 500 જેટલા ગરીબ વેપારીઓને મુશ્કેલી પહોંચે એ રીતે લેન્ડ-ગ્રેબિંગની નોટિસ ફટકારી છે, જે કાર્યવાહી ન થવી જોઈએ અને 150થી વધુ ટીપર વાનચાલકોને લઘુતમ વેતન આવતું નથી, જેથી આ બંને મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ અને જો એનું 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરી બહાર ધરણાં પર અમે બેસી જઈશું.

રાજકોટ કલેકટરને સંબોધીને લખાયેલું આવેદન અધિક કલેક્ટર ચેતન ગાંધીને આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતુ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટીપર વાનના ડ્રાઈવર અને સંલગ્ન સ્ટાફને લઘુતમ વેતન ચૂકવવામાં આવતું નથી. પગાર સ્લિપ આપવામાં આવતી નથી અને અન્ય શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરી તેમનું શોષણ કરવામાં આવે છે. આ શ્રમિકો આપણા રાજકોટને ઊજળું રાખે છે, સ્વચ્છ રાખે છે. તેમના શ્રમ બદલ તેમની મહેનતને બિરદાવવાને બદલે તેમનું ભયંકર શોષણ કરવામાં આવી રહ્યું છે. અમે માંગણી કરીએ છીએ કે તેમને નિયમાનુસાર લઘુતમ વેતન ચૂકવાય, પગાર સ્લિપ મળે, તેમનુ પી.એફ. જમા થાય એ માટે શ્રમ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જરૂરી નિર્દેશો આપશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *