રાજકોટ જિલ્લાના જસદણમાં લેન્ડગ્રેબીંગનો કેસ કરનાર ઘનશ્યામ રાજપરાની ડિસેમ્બર-2024માં હત્યા થયા પછી તેન ન્યાય માટે કરાયેલા આંદોલનમાં કોળી-ઠાકોર સમાજના 92 વ્યકિત પર 307ની કલમ સાથેના કેસ કરવામાં આવતા કોળી સમાજમાં રોષ ભભુકી ઉઠયો હતો.જેના પગલે કોળી સમાજના આગેવાનો તા.9મી માર્ચે વિછીયામાં એક સંમેલન બોલાવ્યું હતુ. આ સંમેલન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના વિરોધમાં હોવાનો આક્ષેપો સોશીયલ મિડીયા દ્વારા થયા હતા. સંમેલનને સફળ બનાવવા માટે ગાંધીનગરના સર્કીટ હાઉસમાં ‘સમસ્ત કોળી-ઠાકોર સમાજ એકતા સમિતી’ની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આયોજકો અને યુવાનો વચ્ચે તડાફડી થતા મામલો મારા મારી સુધી પહોંચી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. છેવટે આયોજકોએ સંમેલન બિનરાજકીય અને કોળી-ઠાકોર સમાજની માગણીઓનું રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી. ઉપરાંત કોઇપણ રાજકીય આગેવાને ખેસ, ટોપી સહિતના રાજકીય ચિન્હ ધરાવતો પહેરવેશ પહેરીને સ્ટેજ પર આવવા મનાઇ ફરમાવી દીધી છે.
ઠાકોર સમાજના કાર્યકરક વિજયસિંહ ઠાકોરે કહ્યું હતુ કે, આગેવાનો સામે એક જ પ્રશ્ન હતો કે,સંમેલન થાય છે તો પ્રશાસન અને પોલીસ સાથે સંઘર્ષ થાય છે ત્યારે યુવાનો સામે કેસ થાય છે ત્યારે કોઇ આગેવાન જવાબદારી લેતા નથી. આગેવાનો કહે અમારી જવાબદારી પણ કેસ આગેવાનો પુરતા નહીં, યુવાનો પર પણ થાય છે અને યુવાનોની જીંદગી બદલાય જાય છે. બીજી તરફ એક યુવાન ચેતન ઠાકોરે કહ્યું હતું કે, આ બેઠકની શરૂઆતમાં જ સરકાર વિરોધી વાત થવા લાગી,પછી આગેવાનોએ કહ્યું કે,સરકાર વિરોધી વાત નહીં,સમાજની વાત કરો,રહીં વાત મંત્રી કુંવરજી બાવળીયાની તો તેમણે 62 લોકોને છોડાવ્યા છે. સંમેલન કરો તમે પણ પહેલા સરકારને રજૂઆત કરો અને સરકાર ન સાંભળે તો આંદોલન કરો. મારી એટલી જ વાત હતી કે તમે કોઇ પક્ષને ને બોલો,સ્ટેજ પર બેઠેલા બોલતા હતા કે,ભાજપીયાઓ આવી ગયા,જયારે સ્ટેજ પર કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ બેઠા જ છે,એટલે સમાજની વાત થવી જોઇએ,કોઇ રાજકીય પક્ષની નહીં તેવી મારી લાગણી હતી.