રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર દેશ – વિદેશમાં જાણીતું બની ગયું છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દિવાળીના તહેવારને લઈને સાત દિવસમાં 6 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ખોડલધામ મંદિર ટ્રસ્ટ તરફથી વૃધ્ધો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય ત્યારે તેઓને પાર્કિંગથી લઈને મંદિર સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે, પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણાલય, બગીચા, ગજીબા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર સહિત તમામ જગ્યાએ સ્વયંસેવકોની ટીમ ખડેપગે રહી છે. વ્યવસ્થાના ભાગરૂપે દરરોજ 500થી વધુ સ્વયંસેવિકાઓ અને સ્વયંસેવકો, યુવાનો અને ખોડલધામનો સ્ટાફ હોકી ટોકી સાથે સેવા બજાવતા જોવા મળ્યા હતા.