વર્ષે એકવાર કામાખ્યા દેવી રજસ્વલા થાય છે

આસામના ગુવાહાટીના નીલાંચલ પર્વત ઉપર આવેલું કામાખ્યા મંદિર દેશની 51 શક્તિપીઠમાંથી એક છે. માન્યતા પ્રમાણે, માતા સતીની યોનિનો ભાગ કામાખ્યા નામના સ્થળે પડ્યો હતો. ત્યારથી જ અહીં કામાખ્યા પીઠની સ્થાપના થઈ. વર્તમાન મંદિરનું નિર્માણ 15મી સદીનું માનવામાં આવે છે. 51 શક્તિપીઠમાંથી માત્ર કામાખ્યા મંદિરને મહાપીઠનો દરજ્જો મળ્યો છે, પરંતુ આ મંદિરમાં કોઈ ચિત્ર અને મૂર્તિ નથી. ભક્ત મંદિરમાં બનેલા એક કુંડ ઉપર ફૂલ અર્પણ કરીને પૂજા કરે છે.

દેવીપુરાણ અનુસાર, માતા સતીએ પોતાના પિતાના યજ્ઞકુંડમાં જ આત્મદાહ કરી લીધો હતો. ત્યાર બાદ ભગવાન શિવએ માતાનું શરીર ઉઠાવી વિનાશ નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું. શિવજીના આ તાંડવના કારણે આખી સૃષ્ટિના વિનાશનું સંકટ ઊભું થઈ ગયું હતું. આ સંકટને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના શરીરના ટુકડા-ટુકડા કરી દીધા હતા. જ્યાં-જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠ બની ગયાં. કામાખ્યા શક્તિપીઠ પર માતા સતીનો ગુહ્વા એટલે કે યોનિ ભાગ પડ્યો હતો. આ કારણે કામાખ્યા મહાપીઠની ઉપ્તત્તિ થઈ. કહેવાય છે કે, અહીં દેવીનો યોનિ ભાગ હોવાથી વર્ષમાં એકવાર ત્રણ દિવસ માટે માતા રજસ્વલા થાય છે. આ દરમિયાન અહીં અંબુવાચી મેળો ભરાય છે. આ મેળો દર વર્ષે જૂનમાં ભરાય છે. આ ત્રણ દિવસો દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે. ત્રણ દિવસ બાદ ખૂબ જ ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *