સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આરોપીએ દાવો કર્યો છે કે તેની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
આરોપી શરીફુલ ઇસ્લામના વકીલે અરજીમાં કહ્યું છે કે તેમના અસીલ પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તે કોઈ ગુનામાં સંડોવાયેલો નથી. વકીલે કહ્યું કે, FIR ખોટી રીતે દાખલ કરવામાં આવી છે. શરીફુલ ઇસ્લામે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. પોલીસ પાસે પહેલાથી જ સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડ સહિતના તમામ પુરાવા છે. જેના કારણે આરોપી દ્વારા પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
બાંદ્રા પોલીસે હજુ સુધી આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી નથી. કોર્ટ ટૂંક સમયમાં શરીફુલની જામીન અરજી પર સુનાવણી કરી શકે છે.
નોંધનીય છે કે, શરીફુલ ઇસ્લામ પર 15 જાન્યુઆરીએ રાત્રે 2 વાગ્યે ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસવાનો આરોપ છે. સૈફ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન, તેને ગરદન, પીઠ, હાથ અને માથા સહિત છ જગ્યાએ છરાના ઘા મારવામાં આવ્યા હતા. આ હુમલા બાદ, સૈફ અલી ખાનને રાત્રે લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એક્ટરની 5 દિવસ સુધી સારવાર કરવામાં આવી.