સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા સામે 5 વિદ્યાર્થિનીએ ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દો બોલતા હોવાનું અને ચોક્કસ જ્ઞાતિના છાત્રોને જ માર્ક આપતા હોવાની વાત કરે છે તેવી ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે મહિલા આયોગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ સમગ્ર મામલે તપાસ કરવા જણાવ્યું છે. પરંતુ પ્રોફેસર પંડ્યા સામે ગંભીર આરોપ છે તેની તપાસ કરવાના બદલે કુલપતિએ ફરિયાદીની શોધ આદરી છે. મહિલા આયોગના આદેશ બાદ કુલપતિ સહિતના સત્તાધીશોએ મંગળવારે આ પ્રકરણમાં તપાસ શરૂ કરી છે. અર્થશાસ્ત્ર ભવનના વડાને આ અંગે તપાસ કરવા કહ્યું છે.
આ ઉપરાંત લેટરમાં જે પાંચ વિદ્યાર્થિનીના નામ લખ્યા છે તે ભવનની વિદ્યાર્થિની છે કે કેમ? અથવા ભૂતકાળમાં ભણી ચૂક્યા છે કે કેમ તેની પણ તપાસ કરવાના આદેશ આપ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, મહિલા આયોગમાંથી એક અરજીના સ્વરૂપમાં પત્ર આવ્યો છે અને તેનું પુછાણ આવ્યું છે. આ કિસ્સામાં પણ અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. નવીન શાહનો અભિપ્રાય માગવામાં આવ્યો છે, પરંતુ તેમને 2 દિવસ ગાંધીનગર અપોઈન્ટ કર્યા હોવાથી હાલ તેઓ ત્યાં છે. આવતીકાલે તેઓ આવશે અને ત્યારબાદ તેઓ તપાસ કરી અભિપ્રાય સ્વરૂપે રિપોર્ટ આપશે.
વિદ્યાર્થિનીઓ, અરજીમાં કરેલી સહી સહિતની બાબતોની તપાસ થશે મહિલા આયોગમાંથી અરજીના સંદર્ભે પુછાણ આવ્યું છે, તેના માટે અમે ભવનના વડાનો અભિપ્રાય લેવાનું કહ્યું છે. ઘણી વખત આ પ્રકારની બેનામી કે ફેક અરજીઓ પણ યુનિવર્સિટીને મળતી હોય છે. અરજીમાં જે સહીઓ કરી છે તે કોની છે તે ખરાઈ કરવી પડે. અરજીમાં ચારથી પાંચ વિદ્યાર્થિનીઓના નામ છે. વિદ્યાર્થિની અત્યારના ભણે છે કે ભૂતકાળના છે તેની પણ તપાસ થશે. યુનિવર્સિટીમાં કોઇપણ પ્રકારની શિસ્તભંગ ચલાવી લેવાશે નહીં પરંતુ બીજી બાજુ કોઈ પ્રોફેસરને વ્યક્તિગત રીતે ટાર્ગેટ નથી કરતું ને તે પણ જોવાની યુનિવર્સિટીની જવાબદારી છે. વિભાગના વડાને ગાંધીનગર કામ માટે ડેપ્યુટ કર્યા છે તેઓ આવીને અભિપ્રાય આપશે. > ડૉ. ઉત્પલ જોષી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી