છત્તીસગઢના રાયપુરથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6313 રવિવારે ટર્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. દિલ્હીમાં લેન્ડિંગ કરતા પહેલા પાઇલટે ફરીથી ફ્લાઇટ ઉડાવી હતી. દિલ્હી-એનસીઆરમાં બપોરે ધૂળના તોફાનને કારણે આ ઘટના બની.
આ પછી ફ્લાઇટે આકાશમાં અનેક ચક્કર લગાવ્યા. બાદમાં, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) તરફથી મંજૂરી મળ્યા બાદ, ફ્લાઇટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી. ફ્લાઇટ હવામાં ફરતી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો ગભરાયેલા જોઈ શકાય છે.
21 મેના રોજ દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર કરા પડવાને કારણે ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન પાઇલટે પાકિસ્તાનને તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી, જોકે પાકિસ્તાને ઈનકાર કર્યો હતો.
સૂત્રોએ 22 મેના રોજ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ અમૃતસર ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે પાઇલટે થોડી ખલેલ અનુભવી હતી. ખરાબ હવામાનથી બચવા માટે તેણે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની પરવાનગી માગી.
લાહોર એટીસીએ પાઇલટને સ્પષ્ટપણે ના પાડી દીધી, જેના કારણે ફ્લાઇટને તેના નિર્ધારિત રૂટ પર આગળ વધવું પડ્યું. આગળ જતાં ફ્લાઈટ ભીષણ ટર્બ્યુલન્સની ઝપટમાં આવી ગઈ. ફ્લાઇટ જોરથી ધ્રૂજવા લાગી. ફ્લાઇટમાં 224 લોકો સવાર હતા. જોરદાર આંચકાઓને કારણે બધા ચીસો પાડવા લાગ્યા.