ભારતીય અર્થવ્યવસ્થાનો લાભ માત્ર અમુર અબજોપતિઓને : રાહુલ

લોકસભામાં વિપક્ષના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે એક્સ પોસ્ટમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર બે વર્ષમાં સૌથી નીચો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું- જ્યાં સુધી મુઠ્ઠીભર અબજોપતિઓ તેનો લાભ લેતા રહેશે ત્યાં સુધી દેશની અર્થવ્યવસ્થા આગળ નહીં વધી શકે.

તેમણે લખ્યું- ભારતનો જીડીપી વૃદ્ધિ દર બે વર્ષમાં સૌથી નીચો 5.4% પર આવી ગયો છે. તે સ્પષ્ટ છે કે ભારતીય અર્થવ્યવસ્થા ત્યાં સુધી પ્રગતિ કરી શકશે નહીં જ્યાં સુધી માત્ર થોડા અબજોપતિઓ જ તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગ અને ગરીબો વિવિધ આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.

રાહુલે કહ્યું કે ડોલર સામે રૂપિયો 84.50ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. બેરોજગારીએ 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. છેલ્લા 5 વર્ષોમાં, મજૂરો, કર્મચારીઓ અને નાના વેપારીઓની આવક કાં તો અટકી ગઈ છે અથવા નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે.

રાહુલનું આ નિવેદન દેશના જીડીપી ગ્રોથમાં ઘટાડાને લઈને આવ્યું છે. નાણાકીય વર્ષ 2025ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ ઘટીને 5.4% થઈ ગઈ છે. 7 ક્વાર્ટરમાં આ સૌથી ધીમી વૃદ્ધિ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે જીડીપી વૃદ્ધિ ધીમી પડી છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે 29 નવેમ્બરે આ ડેટા જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *