રાજકોટમાં હાલ ભારે ગરમીમાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો જાણે પીછો છોડવા માટે તૈયાર જ ન હોય તેમ સતત 16માં સપ્તાહે મનપાનાં ચોપડે કમળાના 7 અને ટાઇફોઇડના વધુ 5 કેસ સામે આવ્યા છે. ઉપરાંત ચાલુ સપ્તાહે વિવિધ રોગના મળી ગત સપ્તાહના 1,248 સામે આ સપ્તાહે 1,844 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા ક્લોરીનેશન વધારવા તેમજ પીવાનું અને ગટરનું પાણી મિક્સ ન થાય તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,844 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઉધરસના 734 કેસ, ઝાડા-ઉલટીના 278 કેસ, સામાન્ય તાવનાં 820 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત 16માં સપ્તાહે પણ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવના 5 કેસ અને કમળાના પણ વધુ 7 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 8,000 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.