માલેતુજાર નબીરાઓ દારૂ પીને અકસ્માત સર્જે તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ અકસ્માતની ઘટનાઓ રોકવા પોલીસ વિભાગ સક્રિય થતું હોય છે, પરંતુ ક્યારેક પોલીસ કર્મી જ અકસ્માત સર્જે ત્યારે નાગરિકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ બની જાય છે. અમદાવાદના નંવરગંપુરામાં એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મીએ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. જ્યાં તપાસ કરતા પોલીસકર્મીની ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
મળતી માહિતી અનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારમાં નશાની હાલતમાં એક પોલીસ કોન્સ્ટેબલે પુરપાટ ઝડપે ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જે પોલીસ ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસ કરી રહી છે. તે જ પોલીસનો કર્મચારી નશાની હાલતમાં અક્માત સર્જતા લોકોમાં રોષ ફેલાયો છે. શહેરના નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. તપાસ કરતા તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.
હાલ તો હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ દાદાગીરી પણ કરતો હોવાનું સ્થાનિકોએ પોલીસ અને મીડિયા સામે જણાવ્યું હતું. દારૂની બોટલ સાથે ઝડપાયા બાદ પણ પોલીસ કર્મી રોફ જમાવતો હતો. લોકોને તેણે ધમકી આપી હતી કે તમારે જે કરવું હોય તે કરી લો. બી ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ વાઘેલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.