પૂર્વ કલેક્ટરના તરઘડી જમીન કૌભાંડને બ્રેક લગાવી હતી ઈન્ચાર્જ કલેક્ટર ઉપાધ્યાયે, સ્ટે હોવાથી વેચાણ અટક્યું

રાજકોટના પડધરી તાલુકાના તરઘડી ગામે હાઈવે ટચ 12 એકર જમીન કે જે 1952માં બિનખેતી થઈને 58 પ્લોટ પાડીને વેચી દેવાઈ હતી તેને પૂર્વ કલેક્ટર એચ.એસ. પટેલે પુન:ખેતીમાં ફેરવી એક બે નહીં, 58 દસ્તાવેજોને નકારી 60 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી એક જ ખાતે કરી દીધી છે. આ પ્રકરણનો પર્દાફાશ બાદ રેવન્યૂ વિભાગમાં તપાસ શરૂ થઈ છે. તત્કાલીન કલેક્ટર આ કૌભાંડ કરવા માટે એટલા ઉતાવળા હતા કે માત્ર 48 દિવસમાં જ આ બધી પ્રક્રિયા પૂરી કરી હુકમ કરી નાખ્યો હતો.

2008માં એચ.એસ. પટેલે પુન:ખેતીનો હુકમ કરી દીધો ત્યારે મોટાભાગના પ્લોટધારકો બહારગામના હોવાથી અણસાર આવ્યો ન હતો. જો કે તે સમયે રાજકોટ રહેતા હિમાલીબેન હરેશભાઈ રૂપારેલિયા નામના પ્લોટધારકને આ ગેરરીતિ ધ્યાને આવતા તેઓએ અરજી કરી હતી પણ સામે પક્ષે કૌભાંડ આચરનારાઓ અધિકારીઓ અને ભૂમાફિયાઓ હોવાથી તેમની અરજી અન્વયે કોઇ કાર્યવાહી થઈ ન હતી. આ દરમિયાન મે-2011માં તત્કાલીન કલેક્ટર રજા પર હોવાથી તે સમયે જિલ્લા વિકાસ અધિકારી નલિન ઉપાધ્યાયને કલેક્ટરનો ચાર્જ અપાયો હતો. તે સમયે આ ગેરરીતિ તેમના ધ્યાને આવી હતી. સામાન્ય રીતે આવા ગેરરીતિના કોઇ પ્રકરણમાં ઈન્ચાર્જ અધિકારી હાથ નાખતા ન હોય પણ રેકર્ડ પર મસમોટી ગેરરીતિ કરીને આચરેલા કૌભાંડ બાદ જો જમીન વેચાઈ જાય તો પ્લોટ લેનારાઓનું હિત જોખમાય તેમ હતું. જેથી તેઓએ આ કેસમાં સુઓમોટો લઈને 2008ના પુન:ખેતીના હુકમ પર સ્ટે આપી દીધો હતો. જેને કારણે આ જમીનનું વેચાણ થતું અટક્યું હતું. જો તેઓએ આ સ્ટે ઓર્ડર ન આપ્યો હોત તો અત્યાર સુધીમાં જમીન માફિયાઓએ કેટલાય લોકોને જમીન વેચી નાખી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *