શહેરમાં જામનગર રોડ પર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બેકાબૂ ટ્રકે બાઇકને ઠોકરે લેતા રાજકોટમાં રહેતા આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્નીને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જાણ થતા પડધરી પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધવા તેમજ ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ રોડ પર કલ્પવન સોસાયટીમાં રહેતા દિનેશભાઇ વલ્લભભાઇ સરવૈયા (ઉ.57) અને તેની પત્ની રમાબેન સાથે બાઇક લઇને ઘેર આવતા હતા ત્યારે જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રકે ઠોકરે લેતા ફંગોળાયેલા બન્ને પતિ, પત્નીને ઇજા થતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા દિનેશભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પડધરી પોલીસ મથકના જમાદાર ગઢવી સહિતના સ્ટાફે તપાસ કરતાં દિનેશભાઇ ત્રણ ભાઇમાં વચેટ હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી તેમજ રીબડા પાસે શક્તિમાન કારખાનામાં નોકરી કરતા હતા. પોલીસની વધુ પૂછતાછમાં દિનેશભાઇ તેની પત્ની સાથે જામનગર તેના બહેનના ઘેર આંટો મારવા ગયા હતા અને ત્યાંથી પરત ઘેર આવતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.