શહેરમાં સર્જાયેલા અગ્નિકાંડને પગલે સફાળું જાગેલું તંત્ર તકેદારીના ભાગ રૂપે વિવિધ દિશાઓમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે બુધવારે રાજકોટ તાલુકા મામલતદારની ટીમ દ્વારા કુવાડવા રોડ પર આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ચાંદની નોનવેજ રેસ્ટોરન્ટમાંથી છ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. તપાસ કરતા રેસ્ટોરન્ટમાં કોમર્સિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવાનો થતો હોય તેમ છતાં ઉપરોક્ત તમામ ગેસ સિલિન્ડર ઘર વપરાશમાં આવતા સિલિન્ડર હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહિ ચાંદની નોનવેજ રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી પણ ન હોવાનું ધ્યાને આવતા તંત્રે તમામ સિલિન્ડર કબજે કરી ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટ સંચાલકને નોટિસ પાઠવી તાકીદે એનઓસી લેવા સૂચના આપવામાં આવી છે. નોનવેજ રેસ્ટોરન્ટમાંથી મળેલા ગેસ સિલિન્ડર કઇ એજન્સીમાંથી આવ્યા છે તે દિશામાં તંત્રે તપાસ હાથ ધરી છે.