ગત 30 મે, 2024ના રોજ જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે જૂનાગઢમાં વાહન ચલાવવા જેવી બાબતે ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા શખસોએ સંજય સોલંકી સાથે મારામારી અને અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા. ધારાસભ્ય એવા ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર એવા જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ પર સંજય સોલંકીએ ઢોર માર માર્યા બાદ વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપી સામે અપહરણ, મારામારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એમાં પોલીસે તમામ 11 આરોપીને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
આ મામલે જ્યોતિરાદિત્યસિંહ સહિત 5 લોકોએ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટે ફગાવી દેતાં ગણેશ ગોંડલ હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેની આ અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાશે. આ પહેલા હાઇકોર્ટે સરકાર અને ફરિયાદી સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્યસિંહ અને અન્યો વિરૂદ્ધ IPC ની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2) અને આર્મ્સ એકટની કલમ 25(1-b)(a) તેમજ એટ્રોસિટી એકટની કલમ 3(2)(5) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે જામીન મેળવવા તેમણે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી રદ કરી દેવામાં આવતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.