રાજકોટ-ગુજરાતની ઓળખ જ ‘ગરબો’ છે. નવરાત્રિ તો ઠીક, અન્ય ઉત્સવોમાં પણ લોકો ગરબાના તાલે ઝુમતા હોય છે. નવરાત્રિ પછી પણ શરદ પુનમ સુધી ગરબાનો માહોલ જામેલો જ હોય છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં શરદપુનમે PM મોદી લિખિત ગરબાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. કારણ કે, રેસકોર્સ ગ્રાઉન્ડમાં ‘માડી’ ગરબાનાં તાલે 1 લાખ લોકો ઝૂમશે. તેમજ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે હાલ આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આ કાર્યક્રમનો ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લંડન તેમજ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ સહિત ત્રણ બુકમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. સાથે જ ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ અને ‘સે નો ટુ ડ્રગ્સ’ સૂત્ર સાથે અભિયાનનો પ્રારંભ કરાશે. આ ઉપરાંત કાર્યક્રમમાં 20થી વધુ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે. તેમજ 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
આ અંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીની ભક્તિ-આરાધના જાણીતા છે. તેઓએ માતાજીની ભક્તિને ઉજાગર કરતો એક ગરબો લખ્યો હતો. તેને નવરાત્રિના આગલા દિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. સિંગર ધ્વનિ ભાનુશાળીના સૂર-અવાજમાં સંગીતકાર તનિષ્ક બળચીએ સંગીતમય ઢાળ આપ્યો હતો. મોદી લિખિત ‘ગરબો’ ધ્વનિ ભાનુશાળીના કંઠ સાથે રિલીઝ કરાયા બાદ ખુદ વડાપ્રધાને ટવીટ કરીને પ્રશંસા કરી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, વર્ષો અગાઉ લખાયેલા ગરબાની મનમોહક પ્રસ્તુતિ માટે ટીમને ધન્યવાદ વર્ષોથી મેં કંઈ લખ્યુ નથી, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં નવો ગરબો લખવામાં સફળ થયો છું.