રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની શ્રી જલીયાણ એગ્રી પેઢી સાથે રૂ.43.28 લાખની છેતરપિંડી થયા હોવાનું સામે આવ્યું છે. 35 ટન તલ ટ્રકમાં ભરી નીકળેલો રાજસ્થાની શખ્સ અધવચ્ચે તલ વેંચી ટ્રક રેઢો મૂકી નાસી છૂટતાં વેપારીમાં દોડધામ મચી જવા પામી હતી. હાલ બનાવ અંગે કુવાડવા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના સાધુ વાસવાણી કુંજ રોડ પર રહેતાં જયદીપભાઈ ધીરજલાલ કોટેચા (ઉં.વ.31)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રોહિતસિંગગ હરજીસિંગગનું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેડી માર્કેટિંગ યાર્ડમાં આવેલ શ્રી જલીયાણ એગ્રી નામની તલ ખરીદ-વેચાણની પેઢીમાં કર્મચારી તરીકે કામ કરે છે. પેઢીમાં તેમનું કામ તલની ગાડીઓ લોડિંગ કરવાનુ છે. પેઢીના માલીક વિવેકભાઈ ગણાત્રા અને હરેશભાઈ ચોટાઇ કમીશન એજન્ટ તરીકે તલની ખરીદી કરી ગુજરાત તેમજ બહારના રાજ્યમાં તલનુ ટ્રાન્સપોર્ટ મારફત વેચાણ કરે છે. ગત તા.09.09.2024ના તેના શેઠ વિવેકભાઇએ જણાવેલ કે, આપણે જયપુરમાં આવેલ યશ ઇન્ડસ્ટ્રીઝમાં તલ મોકલવાના છે અને રાજકોટ નવાગામ આણંદપર રૂડા ટ્રાન્સપોર્ટમાં આવેલ ત્રીમુર્તી ટ્રાન્સપોર્ટના ટ્રકમાં મોકલવાના છે.