પાકિસ્તાનના કરાચી શહેરમાં શનિવારે એક મોલમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયાં હતાં, 22થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
કરાચીના મેયર બેરિસ્ટર મુર્તઝા વહાબે પાકિસ્તાની મીડિયા ‘જિયો ન્યૂઝ’ને જણાવ્યું હતું કે રાશિદ મિન્હાસ રોડ પર આવેલા આરજે મોલમાં આગ લાગી હતી. મોલના બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયેલા છે. ફાયરબ્રિગેડે 50 જેટલા લોકોને બચાવી લીધા છે. હાલ આગનું કારણ સ્પષ્ટ થયું નથી.
‘જિયો ન્યૂઝ’ અનુસાર, કરાચીમાં બનેલી 90% ઈમારતોમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ નથી. આ ઘટના બાદ લોકોની સુરક્ષાને લઈને સરકાર પર સવાલો ઊઠી રહ્યા છે.