રાજકોટ જિલ્લામાં ઓણસાલ કપાસના ઉત્પાદનમાં 97,50,000 મણનો ઘટાડો થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ગત વર્ષે કપાસનું સૌથી વધુ વાવેતર થયા બાદ પાછોતરો વરસાદ ખેંચાતા અને કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધતા ઓછું ઉત્પાદન થતા આ વર્ષે ખેડૂતો ફરી મગફળી અને સોયાબીનની ખેતી તરફ વળ્યા છે. બીજીબાજુ ગત વર્ષે જુલાઇના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં થયેલા વાવેતરની સરખામણીમાં આ વર્ષે 23 ટકા ઓછું વાવેતર થયું છે. જ્યારે આ વર્ષે મગફળીનું વાવેતર વધે તેવા સંકેતો મળી રહ્યા છે.
જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ગત વર્ષે જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં 5,33,145 હેકટરમાંથી 5,17,184 હેકટરમાં વાવણીની કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી. જ્યારે આ વર્ષે 5,32,145 હેકટરમાંથી જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં 4,20,590 હેકટરનું વાવેતરની કામગીરી પૂર્ણ થઇ છે.