ભારત દેશની પ્રાચીન યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંધમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારથી 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં જુદા-જુદા ચાર સ્થળોએ યોગા અને એક સ્થળે એકવાયોગનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ દિવસની આ ઉજવણીમાં 20 હજાર કરતા વધારે લોકો જોડાય તેવી શક્યતા છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર, રાજકોટ મનપા દ્વારા ‘વિશ્વ યોગ દિન’ નિમિતે શહેરમાં કુલ પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (1) સેન્ટ્રલ ઝોન, રેસકોર્ષ મેદાન, (2) વેસ્ટ ઝોન, નાનામવા ચોક ખાતેનું મેદાન, (3) ઈસ્ટ ઝોન, ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, (4) મહાત્મા ગાંધી મ્યુઝિયમ, (5) જીજા બાઈ સ્વિમિંગ પુલ ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું છે. દવાથી જે રોગ ન મટે તે યોગથી મટે, યોગ માનવજાતને આપણી રૂષિ પરંપરા વખતથી મળેલી એક અનમોલ ભેંટ છે. વડાપ્રધાનની પ્રેરણાથી આખું વિશ્વ 21 જૂનનાં દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે ઉજવે છે. ત્યારે મનપા દ્વારા કરવામાં આવેલા આયોજનમાં વધુમાં વધુ લોકો જોડાય તે જરૂરી છે.