દાંતીવાડા કૃષિ યુનિ. વિદ્યાર્થીઓને સાઇકલ આપશે

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની બનાસકાંઠાસ્થિત દાંતીવાડા યુનિવર્સિટીએ કેમ્પસને ગ્રીન અને પ્રદૂષણમુક્ત બનાવવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાઇકલ આપવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ 5 સપ્ટેમ્બરથી કેમ્પસમાં વિદ્યાર્થીઓના ટૂ કે ફોર વ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર હોસ્ટેલના ચીફ વોર્ડને જારી કરતાં વિવાદ ઊભો થયો છે. જોકે યુનિવર્સિટીના સ્ટાફ, બસ અને મહેમાનોનાં વાહનો કૅમ્પસમાં આવી શકશે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 1895 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેમાંથી મોટા ભાગના હોસ્ટેલમાં રહે છે. 12 કિલોમીટરમાં ફેલાયેલા કૅમ્પસમાં વિદ્યાર્થીઓને પાક સંશોધન, શાકભાજી સહિતના નવા-નવા પ્રયોગો માટે ફરવું પડે છે. જોકે ચીફ વોર્ડને પરિપત્ર બહાર પાડી 5 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓને કેમ્પસમાં ટૂ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો લઈને આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જે વિદ્યાર્થીઓનાં વાહનો અંદર પડ્યાં છે તેમને પણ ઘરે મૂકી દેવા કહેવાયું છે. 5 સપ્ટેમ્બર પછી વાહન જપ્ત કરી લેવાનો ઉલ્લેખ કરાયો છે. વિદ્યાર્થીઓના હિસાબે થર્ડ યર, એમએસસી અને પીએચડી કરતા વિદ્યાર્થીઓને સાઇકલો નથી અપાઈ. આ વિદ્યાર્થીઓને ફિલ્ડમાં વધારે જવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *