રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા GMSCLના ગોડાઉનના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખી દેતા પલળી ગયો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. એક તરફ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે દવાનો સ્ટોક ન હોવાની સમસ્યાઓ સામે આવે છે. ત્યારે બીજી તરફ ચોમાસામાં પડેલાં વરસાદને કારણે ગોડાઉનની બહાર રાખેલો દવાનો જથ્થો પલળી જતા ગંભીર બેદરકારી સામે આવી છે. આ દવાની એક્સપાયરી ડેટ 2026 સુધીની હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે, આ બાબતે ત્યાંના કોઈ જ સત્તાવાર અધિકારીનું સામે નિવેદન આવ્યું નથી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર ગુજરાત સરકાર હેઠળનું GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન)નું વેરહાઉસ આવેલું છે. જ્યાં ગોડાઉનની બહાર બોક્સમાં રાખેલો લાખો રૂપિયાનો દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. ચોમાસા પેહલાંનો દવાનો જથ્થો ગોડાઉન બહાર રાખવામાં આવ્યો હતો. ગોડાઉન મેનેજરને જાણ હોવા છતાં પણ જથ્થો બહાર રાખવામાં આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. અહીં જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો હતો તો એક્સપાયરી ડેટ તપાસવામાં આવી તો તેમાં મોટાભાગની દવાઓ વર્ષ 2025 અને 2026 સુધીની હતી.