કેજરીવાલ સામે FIR દાખલ કરવાનો કોર્ટનો આદેશ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ પર પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ છે.

કેજરીવાલ અને બે અન્ય નેતાઓ ગુલાબ સિંહ અને નીતિકા શર્મા વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે દિલ્હી પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે 18 માર્ચ સુધીમાં પોલીસ પાસેથી કેસનો સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.

2019માં દિલ્હીની એક કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી (AAP)ના ભૂતપૂર્વ ધારાસભ્ય ગુલાબ સિંહ અને દ્વારકા કાઉન્સિલર નીતિકા શર્માએ સમગ્ર વિસ્તારમાં મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેર નાણાંનો દુરુપયોગ કર્યો હતો. ત્યાર બાદ નીચલી કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને FIR માટે પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ગયા જાન્યુઆરી 2024માં માહિતી અને પ્રચાર નિયામકમંડળે પણ AAPને રાજકીય જાહેરાતો માટે જાહેર નાણાંનો દુરુપયોગ કરવા બદલ વ્યાજ સાથે 163.62 કરોડ રૂપિયા પરત કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *