ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા એવા ખાખીજાળીયા ગામે નવનિર્મિત આંગણવાડીના બિલ્ડીંગમાં કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડીમાં ભૂલકાંઓનો કલરવ શરૂ થાય તે પહેલા જ વરસાદ આવતાંની સાથે નબળી કામગીરીની પોલ ખુલ્લી ગઈ હતી અને આ આંગણવાડીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રમાણે છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું અને આગળના ભાગમાં મેઈન લોખંડના ગેટના ભાગે દીવાલમાં તિરાડો પડી ગઈ હતી તેમજ તે આંગણવાડીની નીચે લગાવેલી લાદી ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી અને બાજુમાં પાથરેલા બ્લોકની હાલત અત્યંત ખરાબ જોવા મળી હતી ત્યારે આ અંગે તાલુકા પંચાયત ના સદસ્ય એવા ભરતભાઇ સુવાએ તંત્રનું ધ્યાન દોરી આક્ષેપ કર્યો હતો કે આ આંગણવાડીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આથી તંત્ર દ્વારા આની ગંભીરતા સમજીને જે કોન્ટ્રાકટર દ્વારા આ આંગણવાડીનું બિલ્ડીંગ બનાવ્યું હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી આ આંગણવાડીને સારી રીતે રીનોવેશન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. કોઇ કહી ન શકે કે આ આંગણવાડી નવનિર્મિત છે તે હદે ભ્રષ્ટાચાર છાપરે ચડી પોકાર્યો છે.