રાજકોટનાં દાણાપીઠ ખાતેની મસ્જીદમાં આવેલી ત્રણ દુકાનો ગત 31 ડિસેમ્બરનાં રોજ વકફ બોર્ડનો ઓર્ડર બતાવી બળજબરીથી ખાલી કરાવવામાં આવી હતી. ફક્ત એટલું જ નહીં 6 જેટલા લોકોએ સામાન બહાર ફેંકી દીધો હતો અને આ સામાનને અન્ય સ્થળે ખસેડવાનો વેપારીઓને આદેશ આપ્યો હતો. જોકે, વર્ષોથી દુકાનો ભાડેપટ્ટે રાખનાર વેપારીઓએ આ અંગે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પણ ગઈકાલે પોલીસ કમિશ્નરને રૂબરૂ મળી આ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે મસ્જિદનાં ટ્રસ્ટી અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સમાધાન થતા દુકાનોનો કબજો ફરી વેપારીઓને સોંપી દેવામાં આવ્યો છે. જોકે, વેપારીઓએ વકીલની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
વકફ બોર્ડના ઓર્ડરનાં આધારે દુકાનો ખાલી કરાવી રાજકોટના દાણાપીઠમાં નવાબ વખતની ભાડાપટ્ટાની મસ્જિદ હસ્તકની દુકાનો વકફ બોર્ડના ઓર્ડરનાં આધારે 31 ડિસેમ્બરે અમુક શખસોએ બળજબરીથી તાળા તોડી સમાન બહાર મૂકી ખાલી કરાવી હતી. જે મામલે શરતોનું ઉલ્લંઘન થયું હોવાથી પોલીસે છ સામે ગુનો દાખલ કર્યો હતો. રેસકોર્સ રોડ નજીક રહેતા 72 વર્ષીય વિરેન્દ્રભાઈ કલ્યાણજીભાઈ કોટેચાએ દુકાનો બળજબરીથી ખાલી કરાવવા મામલે મસ્જિદના ટ્રસ્ટી સહિતના 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.