રાજકોટના મેયર સરકારી વાહન લઈને પ્રયાગરાજ કુંભમેળામાં પહોંચતા વિવાદ સર્જાયો છે. વિપક્ષે પ્રજાના પૈસે પાપ ધોવા ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિયમ મુજબ જ કમિશનરની મંજૂરી મેળવીને મેયર કુંભમેળામાં ગયા હોવાનું કહ્યું હતું. મેયર જ્યારે સરકારી વાહન લઈ પર્સલન પ્રવાસે જાય ત્યારે રાજકોટ મનપામાં થયેલા ઠરાવ મુજબ પ્રતિ કિમી 2 રૂપિયા ચૂકવવાના હોય છે. નક્કી કરાયેલા આ દરને લઈ પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે. મેયરની કાર પર કપડા સૂકાતા હોવાનો વીડિયો સામે આવતા વિપક્ષે રાજકોટનું અપમાન ગણાવ્યું હતું.
રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયા સરકારી કારમાં જ મહાકુંભનાં પ્રવાસે પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. આ માટે તેમણે નિયમ મુજબ મ્યુ. કમિશ્નરની મંજૂરી લીધી હતી. એ મુજબ પ્રતિકિમી માત્ર રૂ. 2 ચૂકવી મેયર પ્રયાગરાજ પહોંચ્યા છે. એટલું જ નહીં આ માટે તેમની સાથે મહિલા મોરચા અધ્યક્ષ કિરણ માંકડિયા સહિતનાં લોકો પણ સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા છે. જેને લઈ મનપાનાં શાસકો પ્રજાનાં પૈસે અગ્નિકાંડનાં પાપ ધોવા આવ્યા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.