કોંગ્રેસ કાર્યકરોએ કાળીપાટમાં રસ્તા પર લોકોને રોકી ફાળો ઉઘરાવ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું છે તેમાં સરકાર દ્વારા કોઈપણ જાતની સહાય ચૂકવવામાં ન આવતા આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા કાળીપાટ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગપતિઓને લોન માફી અને ખેડૂતોને લોલીપોપ એ પ્રકારના સ્લોગન સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિશિથ ખૂંટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી અલગ અલગ જગ્યાએ ફાળો ઉઘરાવવામાં આવશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે, ભાજપ સરકાર મત માગવા માટે ખેડૂતો અને લોકો પાસે આવે છે. પરંતુ જ્યારે સહાય ચૂકવવાની વાત આવે ત્યારે કોઈ નેતા આગળ આવતું નથી. જોકે, ખેડૂતોને સહાય બાબતે ભાજપના ધારાસભ્ય અને ખેડૂત આગેવાન ગણાતા જયેશ રાદડિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને કરેલી રજૂઆત બદલ તેમને આવકાર્યા હતા.

રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નિશિથ ખૂંટે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી રાજ્ય સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે, ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. રાજકોટમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે જગતનો તાત ગણાતો ખેડૂત જે કરોડો લોકોનું પેટ ભરે છે તેને રોવાનો સમય આવ્યો છે. કારણ કે પાકનું મોટું નુકસાન પહોંચ્યું છે અને સરકાર દ્વારા કોઈપણ જાતની સહાય ચૂકવવામાં આવી નથી. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન પદ સુધી પહોંચાડ્યા ત્યાં ખેડૂતોને કેટલું નુકસાન પહોંચ્યું તે અંગે ભાજપના એકપણ નેતાએ હજુ સુધી નિવેદન આપ્યું નથી. જ્યારે ખેડૂત આગેવાન જયેશ રાદડિયાએ કૃષિ મંત્રીને કરેલી રજૂઆત બાબતે પૂછવામાં આવતા તેમને જણાવ્યું કે, ગુજરાતમાં એક તો એવો નેતા છે ભાજપનો કે જે ખેડૂતો માટે રજૂઆત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *