સામાન્ય ચૂંટણી પહેલાં ભાજપનું મિશન સાઉથ પાટા પરથી ઉતરી રહ્યું છે. 130 લોકસભા બેઠકો ધરાવતા દક્ષિણનાં છ રાજ્યોમાં જીત મેળવવા માટે પાર્ટી દ્વારા ચાર વર્ષમાં કરવામાં આવેલી તમામ રાજકીય ચાલ ફળદાયી હોય તેમ લાગતું નથી. તાજેતરનો ફટકો કર્ણાટકમાંથી આવ્યો છે, જ્યાં રાજ્યના વરિષ્ઠ નેતાઓએ ટોચના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે.
હકીકતમાં, તાજેતરમાં જ ભાજપે પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડાના નેતૃત્વમાં જેડી-એસ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો હતો. કર્ણાટક ભાજપના નેતાઓએ તેનો વિરોધ શરૂ કર્યો છે. સામાન્ય રીતે શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપ માટે આ એક ફટકો છે. બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ અને કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ જાહેરમાં કહ્યું કે જેડી-એસ સાથે ગઠબંધન અંગે રાજ્ય એકમને વિશ્વાસમાં લેવામાં આવ્યું નથી. દરમિયાન સૂત્રોએ દાવો કર્યો છે કે કેન્દ્રીય નેતૃત્વના આ નિર્ણયથી નારાજ ભાજપના ઘણા ધારાસભ્યો, સાંસદો અને અધિકારીઓ પાર્ટી છોડવા જેવાં પગલાં પણ લઈ શકે છે.