રાજકોટ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ફરિયાદો ખૂબ આવે છે. વરસાદ થંભી ગયાના બેથી ત્રણ દિવસ સુધી પાણી ભરેલાં રહે એટલે રોડ-રસ્તા ખરાબ થાય, રોગચાળો અને ગંદકીથી લોકો પરેશાન થઈ જાય. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોય તો ઘરવખરીને નુકસાન થાય. જેને લઈને શહેરના પૂર્વ ઝોનમાં વરસાદી પાણી નિકાલ માટે ઝુંબેશ શરૂ કરતા 31 સ્થળ કે જ્યાં પાણી ભરાયેલાં રહેતા ત્યાં વરસાદ બાદ માત્ર 45 મિનિટમાં ખાબોચિયું પણ નહિ રહે એટલી મજબૂત સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ અમલી બનાવાઈ છે.
શહેરના ઈસ્ટ ઝોનમાં નવો અને જૂનો બંને પ્રકારનો વિસ્તાર છે અને એટલે જ ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેમાં કામ કરવાની પદ્ધતિ અને સમસ્યા પણ અલગ અલગ છે. જેને લઈને મનપાએ પાણી ભરાવાના મુખ્ય સ્થળો નક્કી કરીને તેને રેડ અને યલો ઝોનમાં વિભાજિત કર્યા હતા અને બાદમાં ત્યાં પાઇપ ગટરનું નેટવર્ક બિછાવી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરી હતી. આ પ્રક્રિયા સતત અઢી વર્ષ સુધી ચાલી હતી પરિણામ સ્વરૂપ હવે ઈસ્ટ ઝોનમાં ખૂબ જ પાણી ભરાયેલું રહેતું હોય તેવા રેડ ઝોનના એકપણ સ્થળો બાકી રહ્યા નથી.